Mysamachar.in-ગાંધીનગરઃ
રાજ્યમાં વિવિધ સરકારી કચેરીઓમાં વધી રહેલા ભ્રષ્ટાચાર અંગેનો સ્વીકાર ખુદ મુખ્યમંત્રી રૂપાણીએ પણ કર્યો હતો, આ વાતની પુષ્ટી આપતાં આંકડા એન્ટી કરપ્શન બ્યૂરો પાસે ઉપલબ્ધ છે. જેમાં દર્શાવ્યા પ્રમાણે 1 જાન્યુઆરીથી 23 ડિસેમ્બર સુધીમાં 402 સરકારી અધિકારીઓ અને વચેટિયા લાખો રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. બાતમીના આધારે ACB દ્વારા છટકું ગોઠવી લાંચ સ્વીકારનાર અને લાંચ માગનારની ધરપકડ કરવામાં આવે છે. બે દિવસ પહેલા જ ખુદ ACBના પીઆઇની ACBએ જ ધરપકડ કરી હતી. આંકડા પ્રમાણે રાજ્યમાં સરકારી કર્મચારીઓમાં ભ્રષ્ટાચારનો ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ACBના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં પોલીસ ખાતાના અધિકારીઓ સામે કુલ 49 છટકા ગોઠવવામાં આવ્યા હતા. મહેસુલ વિભાગના કર્મચારીઓ સામે 22 છટકા ગોઠવાયા હતા. જ્યારે કૃષિ વિભાગના કર્મચારીઓ સામે 7 છટકા ગોઠવવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે 402 સરકારી અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. જેમાં તેમના મળતિયા 140 તો ખાનગી વ્યક્તિ હતા. લાંચ માગનાર સરકારી કર્મચારી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી મળતિયા મારફતે લાંચ સ્વીકારે છે. આ સિવાય વાર તહેવારે સરકારી કચેરીઓમાં ગિફ્ટ પ્રથા તો ચાલુ જ છે !