Mysamachar.in-ગાંધીનગર:
બે માસ બાદ આજે પહેલીવાર કેબિનેટ બેઠક વીડિયો કોન્ફરન્સથી નહિ, પરંતુ પ્રત્યક્ષ યોજાઈ હતી. કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધી વિડીયો કોન્ફરન્સમાં બેઠક યોજી હતી. પણ આજે પ્રત્યક્ષ કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. કેબિનેટ બેઠકમાં ગુજરાતની અત્યારની વર્તમાન પરિસ્થિતિની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત નિસર્ગ વાવાઝોડું જે રીતે આગળ વધી રહ્યું છે તેની ચર્ચા કરવામાં આવી. વાવાઝોડુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વલસાડ, સુરત, ડાંગ સહિતના પાંચ જિલ્લાઓને અસર કરે છે.ભારે પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. ત્યારે સમગ્ર વહીવટીતંત્ર બધી જ રીતે હાઇએલર્ટ પર છે. તમામ જિલ્લાઓના કલેકટરો અધિકારીઓ અને હાઇ એલર્ટ પર મૂક્યું છે. એનડીઆરએફની ટીમો પણ ભારત સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં આપવામાં આવી છે
તેમણે કોરોના વાયરસ અને લોકડાઉન અંગે જણાવ્યું કે, કેબિનેટ બેઠકમાં કોરોના વાયરસની બીમારી સામે આરોગ્યની સેવાઓ તેનું પણ પ્રેઝન્ટેશન આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. લોકો મોટા પ્રમાણમાં ધંધા-રોજગાર માટે બહાર નીકળી રહ્યાં છે. લોકોની જરૂરિયાત છે. જોકે, હજુ પણ કોરોના વાયરસની બીમારી ચાલુ છે ચાલુ છે. નજીકના ભવિષ્યમાં તેનો અંત દેખાતો નથી. આથી વારંવાર નાગરિકોને કહેવામાં આવે છે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે જરૂરી છે. કોરોના હજી ગયો નથી, નજીકના ભવિષ્યમાં જશે પણ નહિ. તેથી બધી જ ગાઈડલાઈનનુ ફરજિયાત પાલન કરવું જરૂરી છે. પ્રજામાં સરકાર ઝુંબેશ ચલાવશે કે કોરોનાવાયરસ સાથે વેપાર ધંધામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને જાગૃતિ રાખવી. રાજ્ય સરકારે નિષ્ણાત ડોક્ટરોની કમિટી બનાવી દીધી છે કે, હવે રાજ્ય સરકારને કોરોના વાયરસમાં લેવાના પગલાઓની સલાહ અને માર્ગદર્શન આપશે. નિષ્ણાત ડોક્ટરોની કમિટીની સલાહ પ્રમાણે આરોગ્ય વિભાગ કામ કરશે તેવો નિર્ણય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે. આમ આજની કેબીનેટ બેઠક બાદ નીતિન પટેલે આ તમામ બાબતો મીડિયા સમક્ષ મૂકી હતી.