Mysamachar.in-જામનગર:
સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પીટલ આગ અકસ્માત વગેરે જેવી દુર્ધટના બને તો ભગવાન ભરોસે હોવાનો ઘાટ ઘડાયેલો છે, કારણ કે ટૂંકાગાળામાં આ હોસ્પિટલમા બે આગના બનાવો સામે આવતા ફાયર સેફટીની સિસ્ટમ સામે સવાલો ઉઠે તે સ્વાભાવિક છે, આ હોસ્પિટલ ડીઝાસ્ટર મેનેજમેન્ટના પોઇન્ટ ઓફ વ્યુ કે ફાયર સેફટી મુદે જરા પણ સજ્જ ના હોય તેમ લાગી રહ્યું છે,થોડા દિવસો પૂર્વે રાત્રીના સમયે જૂની હોસ્પિટલના હાડકાના ઓપરેશન થીયેટરમાં આગ લાગી હતી જેને ફાયર વિભાગે માંડ કાબુમાં લીધી હતી અને દર્દીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા,
ત્યાં જ આજે જ્યાં ભારે અવરજવર રહે છે સોનોગ્રાફી, એક્સરે, આઈસીયુ જેની બાજુમાં છે તેવા ડ્રાઈવર રૂમમાં એકા-એક આગ લાગતા થોડીવાર પુરતી અફડતફડી સર્જાઈ જવા પામી હતી, જો કે ફાયર વિભાગે તુરંત પહોચી જઈને આગને કાબુમાં કરી લીધી હતી,આ આગને કારણે પાવર સપ્લાય બંધ કરાવવાની પણ ફરજ પડી હોવાનું ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું છે. સુરક્ષાની દ્રષ્ટીએ મહત્વની કહી શકાય તેવી બાબતોમાં પણ ગુનાહિત બેદરકારી દાખવતા હોવાનું બહાર આવ્યુ છે, રોજની હજ્જરો ની અવર જવર અને ૧૦૦૦ થી વધુ સ્ટાફ ધરાવતી આ હોસ્પીટલમાં ન કરે નારાયણ ને આગ વિકરાળ સ્વરૂપે ફાટી નીકળે તો ખુબ જ મોટી જાનહાની થવા સંભવ છે, જેનાથી હોસ્પિટલની સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થયા છે.