Mysamachar.in-રાજકોટ
રાજકોટના મવડીમાં રહેતા અને જમીન-મકાનના ધંધાર્થી જીતુ સોરઠીયા ગત માર્ચ મહિનામાં ઘર બંધ કરીને પરિવાર સાથે ભેંસાણ ગયા હતા. તે દરમિયાન તેમના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 25 લાખની ચોરીની ઘટના સામે આવી હતી, આ મામલે જીતુભાઈ સોરઠીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલીને આરોપી સૂર્ય પ્રસાદ તીમીલસેનાની બેંગ્લોરથી ધરપકડ કરી છે. ઘરમાં કામ કરતી નેપાળી મહિલાએ બેંગ્લોરથી પ્રોફેશનલ ચોરને બોલાવી ચોરીને અંજામ આપ્યો હોવાનું તપાસમાં ખૂલવા પામ્યું છે.
પરિવારના સભ્યોને ઘરમાં કામ કરવા આવતી નેપાળી મહિલા પર શંકા હતી. જેથી પોલીસે શંકાના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સોસાયટીમાં ઘરકામ કરતી મહિલાએ અને નેપાળી પગીએ મળીને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. આ દંપતીએ બેંગ્લોરથી પ્રોફેશનલ ચોરને બોલાવીને સમગ્ર ઘટનને અંજામ આપ્યો હતો. હાલ તો પોલીસે બેંગ્લોરથી આરોપી શખ્સ સૂર્યપ્રસાદને ઝડપી પાડ્યો છે. પોલીસે ઝડપાયેલા શખ્સ પાસેથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ 3.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે સુત્રધાર નેપાળી દંપતિની શોધખોળ ચાલુ છે.પણ ચોરીમાં પણ આ રીતની મોડસ ઓપરેન્ડી અપનાવી અને છેક બેંગલોરથી ચોરને રાજકોટ સુધી બોલાવવાનો કીમિયો પણ વિચારતા કરે તેવો છે.