Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં કેટલાક લોકોને એવું લાગે છે કે કોરોના ચાલ્યો ગયો છે, ના પણ એવું નથી છેલ્લા કેટલાક દિવસોથી જામનગર શહેરમાં જોવા મળતા છુટા છવાયા કેસો તેમજ રાજ્યના અન્ય શહેરોમાં જોવા મળતા કેસો એ સ્પષ્ટ કરે છે કે આપની આજુબાજુ કયાંક તો હજુ કોરોના વાઈરસની હાજરી છે, એવામાં કોરોના મહામારી સામે લડવા કોરોના વેક્સીન લેવી જરૂરી બની છે, કેટલાય લોકો વેક્સીનના બન્ને ડોઝ લઇ અને કોરોના મહામારી સામેની લડતમાં સહભાગી થઇ અને કોરોનાને હરાવવા માટે આગળ આવ્યા છે,
કેટલાક શહેરીજનો એવા પણ છે કે જેમને એક ડોઝ લઇ ચુક્યા બાદ બીજા ડોઝનો સમય થઇ ગયો હોવા છતાં પણ લેવા નથી જતા જે બાબત અતિ ગંભીર છે.વેક્સીનનો જથ્થો પુરતો છે ત્યારે જામનગર મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડી દ્વારા ખાસ તો જે નાગરિકોને બીજો ડોઝ લેવાનો સમય થઇ ચુક્યો છે અને વેક્સીનનો બીજો ડોઝ લેવા માટે આળસ કરી રહ્યા છે તેવા નાગરીકો વેક્સીન સેન્ટરો પર જઈ વેક્સીન લઇ અને સુરક્ષિત થવા ભારપૂર્વકની અપીલ કરવામાં આવી છે.
જામનગર શહેરના કુલ 4.80 લાખ લોકોએ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લઇ લીધો છે, એટલે કે આ કામગીરી 94% પૂર્ણ થઇ ચુકી છે, જયારે ગઈકાલ સુધીની સ્થિતિએ 70321 એવા શહેરીજનો છે જેને બીજા ડોઝનો સમય થઇ ચુક્યો છે છતાં પણ નથી લીધો ત્યારે આવા લોકોએ પોતાને કોરોના વાઈરસ સામે સુરક્ષિત કરવા બન્ને ડોઝ લેવા સ્વયમ જાગૃતતા કેળવી અને જયારે વેક્સીનનો જથ્થો પર્યાપ્ત છે.ત્યારે વેક્સીન લેવા જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.