Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની ધૂમ મચી રહી છે. ભારતીય જનતા પાર્ટી એક પછી એક કિલ્લાઓ સર કરી રહી છે. જામજોધપુર-લાલપુર વિધાનસભા બેઠક પર ચૂંટણી પહેલાં જ, ભાજપા તથા તેઓનાં ઉમેદવાર ચીમનભાઈ શાપરિયાએ જોરદાર સપાટો બોલાવ્યો છે. કોન્ગ્રેસ તથા આમ આદમી પાર્ટીના સેંકડો આગેવાનો અને કાર્યકરોએ ભાજપામાં વિશ્વાસ વ્યક્ત કરી, કેસરિયો ખેસ ધારણ કરી લેતાં વિપક્ષ છાવણીમાં રાજકીય ધરતીકંપ ત્રાટક્યો છે.
ગઈકાલે બુધવારે જામજોધપુર શહેર અને પંથકનાં કોન્ગ્રેસ અને આમ આદમી પાર્ટીના 700થી વધુ સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ ભાજપાનો ખેસ ધારણ કરી લેતાં જામજોધપુર ઉપરાંત સમગ્ર જિલ્લામાં રાજકીય હલચલ મચી જવા પામી છે. ચીમનભાઈએ આ તકે જણાવ્યું હતું કે, હરકોઈ વ્યક્તિ વિકાસ ચાહે છે, હરકોઈ કમળ ખીલવવા ચાહે છે. સમગ્ર જામજોધપુર વિધાનસભા મતવિસ્તારમાં બુધવારે અજબ ઉમંગ જોવા મળતો હતો. ભાજપામાં જોડાયેલા કોન્ગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, ભાજપાની વિકાસશીલ કાર્યપ્રણાલીથી પ્રેરાઈને તેઓએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે.
કોન્ગ્રેસના જિલ્લા મહામંત્રી અને જામજોધપુર પટેલ સમાજના પ્રમુખ યુવા નેતા હીરેનભાઈ ખાંટ, તેમનાં સેંકડો સમર્થકો, જામજોધપુર નગરપાલિકાના સદસ્યો અને કોન્ગ્રેસમાં વિવિધ જવાબદારીઓ સંભાળતા મુખ્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ કોન્ગ્રેસનો સાથ છોડી ભાજપા વિચારધારા પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો.
આ ઉપરાંત ખરીદવેચાણ સંઘનાં પૂર્વ પ્રમુખ- માર્કટ યાર્ડના પૂર્વ ડાયરેક્ટર ક્રિપાલસિંહ જાડેજા (અતુલસિંહ), આમ આદમી પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા, જિલ્લાનાં યુવા ઉપપ્રમુખ મયૂરસિંહ જાડેજા અને તેમનાં સેંકડો સમર્થકોએ ભાજપામાં જોડાઈ ચીમનભાઈ શાપરિયાને આ બેઠક પર જંગી બહુમતીથી વિજય અપાવવા આહવાન કર્યું.
અત્રે નોંધનીય છે કે, છેલ્લાં ઘણાં દિવસોથી ચીમનભાઈ શાપરિયાએ આ મતવિસ્તારમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે, તેઓને વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. હજારો લોકો આ સિનિયર નેતાનાં નેતૃત્વમાં તથા ભાજપાની વિચારધારામાં ભરોસો વ્યક્ત કરી રહ્યા છે. ઠેરઠેર ચીમનભાઈ શાપરિયાના ચૂંટણી પ્રચાર કાફલાનુ સ્વાગત સન્માન થઈ રહ્યું છે. ભાજપાની વિકાસશીલ વિચારધારા સમગ્ર વિધાનસભા વિસ્તારોમાં વધુને વધુ મજબૂત બની રહી છે.
ઉમેદવાર ચીમનભાઈ શાપરિયાએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન જણાવ્યું કે, વર્ષોથી અને દાયકાઓથી જે કામો થતાં ન હતાં એ કામો ભાજપાની સરકારોએ કરી દેખાડયા છે. ખેડૂતલક્ષી યોજનાની વાત હોય કે પ્રાથમિક સુવિધાઓના કામોની વાત હોય, સ્ટાર્ટ અપ ની વાત હોય કે મહિલાઓનાં ઉત્કર્ષની વાત હોય વિકાસની રાજનીતિને આગળ રાખતાં ભાજપાનાં શાસનમાં સૌને વિકાસનાં ફળો મળી રહ્યા છે, એમ ચીમનભાઈ શાપરિયાએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન જણાવ્યું હતું.
કાલે બુધવારે ચીમનભાઈ શાપરિયાએ પોતાના ચૂંટણી પ્રચારનાં આઠમા દિવસે જામજોધપુર તાલુકાના શિવપરા ગામની મુલાકાત લીધી હતી અને સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો સાથે બેઠક યોજી હતી. સૌએ આ વિસ્તારમાં કમળ ખીલવવા નિર્ધાર વ્યકત કર્યો હતો. આ તકે આગેવાનોએ શાલ ઓઢાડી ઉમેદવાર ચીમનભાઈ શાપરિયાનુ સ્વાગત સન્માન કર્યું હતું અને ચીમનભાઈએ સૌને વિકાસની રાજનીતિમાં જોડાવા આહવાન કર્યું હતું અને સૌએ આ આહવાનને હર્ષભેર વધાવી લીધું હતું. આ તકે પક્ષનાં જિલ્લાના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં યુવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતાં અને સમગ્ર પંથકમાં કમળ ખીલવવા કોલ આપ્યો હતો.
-આજે સાંસદ પૂનમબેન માડમનો જામજોધપુરમાં ચૂંટણી પ્રવાસ
જામજોધપુર-લાલપુર વિધાનસભા બેઠક પરના ભાજપાનાં ઉમેદવાર ચીમનભાઈ શાપરિયાના સમર્થનમાં આજે હાલારના લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમ દ્વારા જામજોધપુરનો ચૂંટણી પ્રવાસ યોજવામાં આવ્યો. તેઓ આ મતવિસ્તારમાં કેસરિયો પરચમ લહેરાવવા આજે ગુરૂવારે સવારે ધૂનડા ખાતે શ્રી હરિરામ બાપાનાં આશ્રમે 11/00 વાગ્યે કોળી સમાજના અગ્રણીઓ સાથેની બેઠકને સંબોધશે, ત્યારબાદ બપોરે 12/00 વાગ્યે સગર સમાજનાં આગેવાનો સાથે બેઠક કરશે અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે અને ત્યારબાદ બપોરે 02/00 વાગ્યે સાંસદ આહિર સમાજનાં અગ્રણીઓ સાથે ચૂંટણી સંબંધી વિચારવિમર્શ કરશે. તેઓની આ શ્રેણીબદ્ધ બેઠકોને અનુલક્ષીને સમગ્ર વિધાનસભા વિસ્તારમાં ભારે ઉત્તેજના પ્રસરી છે.
-ભાજપાનાં મહાનુભાવોનો આજે જામજોધપુર અને લાલપુર પંથકમાં વિદ્યુતવેગી ચૂંટણી પ્રવાસ-જબ્બર લોકસંપર્ક
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા અને સામાજિક અગ્રણી જગદીશ કોટડિયા આજે ગુરૂવારે સવારથી, 80-જામજોધપુર વિધાનસભા મતવિસ્તારમાં કમળ ખીલવવા જામજોધપુર તથા લાલપુર તાલુકાના ચૂંટણી પ્રવાસમાં છે. ડો. ભરત બોઘરાએ પોતાનાં વિશાળ કાફલામાં પક્ષનાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરોને જોડયા હતા અને આજે સવારે 09/30 વાગ્યાથી જામજોધપુર તાલુકાના સમાણા, દલદેવડીયા, સડોદર, બગધરા અને માંડાસણ પંથકમાં પ્રવાસ શરૂ કર્યો હતો. આ પ્રવાસ બપોરે બાર સાડા બાર વાગ્યે માંડાસણ ખાતે પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત પક્ષનાં સામાજિક અગ્રણી જગદીશ કોટડિયા સ્થાનિક આગેવાનો અને કાર્યકરોને સાથે રાખી લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપાનો ચૂંટણી પ્રચાર આજે બપોરે શરૂ કરશે. તેઓનો ચૂંટણી પ્રચાર કાફલો બપોરે 03/30 વાગ્યે લાલપુર તાલુકાના ખટીયા ગામથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે અને રાત્રે 08/30 વાગ્ય સુધીમાં તેઓ ખટીયા ઉપરાંત ખડખંભાળિયા, મોટી વેરાવળ, પિપરટોડા, લાલપુર અને ભણગોર ગામની મુલાકાત લેશે.