Mysamachar.in-ગાંધીનગર
તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા લાંબા સમયથી અટવાયેલા અને 65000 શિક્ષકોને સીધા જ સ્પર્શતા મુદ્દા પર નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણય અંગે કહ્યું હતું કે શિક્ષણ-વિભાગનો તા.25 જૂન-2019નો પત્ર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તદઅનુસાર હવેથી રાજ્યભરના 65 હજાર જેટલા પ્રાથમિક શિક્ષકોને અગાઉની વ્યવસ્થા મુજબ જ પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે 4200 ગ્રેડ-પે મળતો રહેશે તેમ મંત્રીઓએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ રાજ્યના પ્રાથમિક શિક્ષકોના અગાઉ મળતા પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ શિક્ષણ વિભાગના તા.25-6-2019ના પત્રના કારણે બંધ થયેલ હોવાની રજૂઆતોને ધ્યાને લઇને મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તેમજ નાયબ મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે અને શિક્ષણ વિભાગના સચિવો તથા ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં વિશદ ચર્ચા-વિચારણાઓ હાથ ધરી અને આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો, જો કે આ નિર્ણય હજુ કેટલાક શિક્ષકો માટે અધુરો હોવાનો સુર રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા સહિતની ટીમે ઉઠાવ્યો છે, તેવોએ શિક્ષણમંત્રીને કરેલ રજુઆતમાં જણાવ્યાનુસાર….
તા. 30/1/2020 થી રચાયેલી પગાર વિસંગતતાની કમિટી સાથેની અંદાજિત 10 થી વધુ મિટીંગો અને અધિકારીઓ સાથેની મિટીંગો પછી પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને આ લાભ કઈ અસરથી આપવામાં આવશે તે અંગે સરકાર દ્વારા અમારા સંગઠનને કોઈ આખરી નિર્ણય આપેલ નથી. આ બાબતે સરકારને મંત્રીઓ, સંસદસભ્યઓ, ધારાસભ્યઓ તેમજ વિવિધ શિક્ષણ સમિતિના પદાધિકારીઓએ લેખિત ભલામણ કરતા સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવશે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને યોગ્ય ન્યાય મળશે તેવી ખાતરી આપવામાં આવેલી છે. વધુમાં શિક્ષણમંત્રી સાથેની મિટીંગમાં પણ આ બાબતે નવી નિતિમાં જે રીતે લાભ મળવાપાત્ર થશે તે રીતે આપવાની વિસ્તૃત ચર્ચા કરેલી છે. તા.5/12/2020 ની નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી મિટીંગ તથા તા.11/12/2020ના રોજ નાયબ સચિવ સાથે ટેકનીકલ પાસાઓની સમિક્ષા કરેલી છે.
સરકાર દ્વારા રાજયની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તેમજ અન્ય HTAT મુખ્ય શિક્ષકોને પણ શિક્ષક જેટલા જ પગાર આપવાનો નિર્ણય આપેલો છે. જે વિસંગત બાબત છે. આ બાબતે રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતો ધ્યાને લિધા વિના વિસંગતતા દૂર ન થાય તે રીતનો નિર્ણય લેવાયો છે. આથી અમારી માંગણી છે કે દિવસ-4 તા.20/12/2020 શનિવાર સુધીમાં ઉપરોકત બન્ને બાબતોમાં સરકારનો યોગ્ય નિર્ણય થાય અને જરૂર જણાય તો આ બાબતે સંઘને આખરી મિટીંગ આપી નિર્ણય કરાવી આપવા અન્યથા તા. 20/12/2020 પછી ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનનો રસ્તો અપનાવવો પડે તેવી પરિસ્થિતી સર્જાઈ હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.