Mysamachar.in-ગાંધીનગર
લાંબા સમયથી અટવાયેલા અને 65000 શિક્ષકોને સીધા જ સ્પર્શતા આ મુદ્દા પર આજે નિર્ણય થતા શિક્ષકોને આ નિર્ણયનો મોટો લાભ મળશે તેમ માનવામાં આવી રહ્યું છે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણય અંગે કહ્યું કે મુખ્યમંત્રીએ રાજ્યના પ્રાથમિક શિક્ષકોના અગાઉ મળતા પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ શિક્ષણ વિભાગના તા.25-6-2019ના પત્રના કારણે બંધ થયેલ હોવાની રજૂઆતોને ધ્યાને લઇને મંગળવારે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તેમજ નાયબ મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, શિક્ષણ રાજ્યમંત્રી મતી વિભાવરીબહેન દવે અને શિક્ષણ વિભાગના સચિવો તથા ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં વિશદ ચર્ચા-વિચારણાઓ હાથ ધરી હતી.
મુખ્યમંત્રીએ આ ફળદાયી ચર્ચા-પરામર્શના અનુસંધાને આપેલી સૂચનાઓ અનુસાર શિક્ષણ-વિભાગનો તા.25 જૂન-2019નો પત્ર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તદઅનુસાર હવેથી રાજ્યભરના 65 હજાર જેટલા પ્રાથમિક શિક્ષકોને અગાઉની વ્યવસ્થા મુજબ જ પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે 4200 ગ્રેડ-પે મળતો રહેશે તેમ મંત્રીઓએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગે તા.25-6-2019ના પત્રથી પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે મળતો 4200 ગ્રેડ-પે ને બદલે 2800 ગ્રેડ-પે આપવાનો થયેલ પત્ર તા.16 જુલાઇ-2020થી સ્થગિત કરેલો હતો.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં પ્રાથમિક શિક્ષકોની લાંબાગાળાની રજૂઆતો પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરીને આ પત્ર મૂળ અસરથી રદ કરવાની સૂચનાઓ મુખ્યમંત્રીએ આપી છે. મંત્રીઓએ વધુમાં જણાવ્યું કે, હવે આના પરિણામે પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ-પે પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે યથાવત રહેશે તેમજ સંબંધિત શિક્ષકોને તેમની મળવાપાત્ર તારીખથી તેનો લાભ આપવામાં આવશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શિક્ષણ વિભાગને નાણાં વિભાગ તથા સામાન્ય વહીવટ વિભાગ સાથે પરામર્શમાં રહિને આ નિર્ણયના સત્વરે અમલ માટેની જરૂરી કાયદાકીય-વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની સૂચનાઓ પણ આપી છે તેમ નાયબ મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ હતું. તો સરકારની જાહેરાત બાદ પણ આવતીકાલે રાજ્ય મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારોની એક મિટિંગ આવતીકાલે શિક્ષણમંત્રી સાથે થશે તેમ જાણવા મળે છે.