Mysamachar.in-જામનગર
જામનગરમાં છેલ્લા કેટલાક વર્ષોથી નામચીન ભૂમાફિયા જયેશ પટેલે માથું ઉંચકતા કેટલાયને નાકે દમ લાવી દીધો હતો, અને છેવટે ઓપરેશન જયેશ પટેલની ગુન્હાખોરીના સામ્રાજ્યનો ધી એન્ડ કરવા માટે રાજ્ય સરકાર ખાસ IPS અધિકારી દીપન ભદ્રન અને તેની ચુનંદા ટીમને જામનગરમાં મૂકી અને ઓપરેશન જયેશ પટેલ માટે ફી હેન્ડ આપ્યા હતા અને તેના જ પરિણામ સ્વરૂપ જયેશ લંડનથી તો જામનગરના જાણીતા વકીલ કિરીટ જોશીની હત્યા કરનાર 3 વોન્ટેડ આરોપીઓને જામનગર એલસીબી ટીમે કલકતાથી વેશપલટો કરીને ઝડપી પાડતા આ કેસ ફરી ચર્ચાના ચકડોળે ચઢ્યો છે. જયેશ પટેલે ઝડપાયેલા ત્રણેયને 3 કરોડની સોપારી આપી હતી અને તેમાંથી 20 લાખ એડવાન્સ આપી દીધા બાકી સમાયંતરે જયેશ પટેલ ભાગેડુ આરોપીઓને જરૂરી આર્થિક સહિતની તમામ મદદ કરતો હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળે છે.
ભૂમાફિયા જયેશ પટેલનો ડોળો હંમેશા કીમતી જમીનો પર રહેતો હતો અને તે યેનકેન પ્રકારે કાવાદાવો કરી અને આવી જમીનો કઈ રીતે પચાવી શકાય તેના માટે તમામ પ્રકારની નીતિઓ વાપરતો હતો અને તેના માટે તેના મળતીયો પર સક્રિય રહેતા હતા. ક્યારેક પોતે તો કયારેક મળતિયાઓ મારફત ધાકધમકી અને ફાયરીંગ કરાવી જયેશ પટેલ પોતાનો ખોફ પેદા કર્યો હતો અને તે પોતાનું વર્ચસ્વ વધે તે માટેના પ્રયાસો કરતો હતો… એવામાં થોડા વર્ષો પૂર્વે જામનગરના જાણીતા બિલ્ડર વી.પી.મહેતાની રણજીતસાગર રોડ પર આવેલ અને ખુબ કીમતી માનવામાં આવતી ઇવાપર્કવાળી 100 કરોડની જમીન પચાવી પાડવાના પ્રકરણથી જયેશ પટેલ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચામાં આવ્યો હતો. અને તત્કાલીન એસપી પ્રદીપ સેજુલ સહિતની ટીમે પણ જયેશ પટેલ ફરતે બિલ્ડરની આ ફરિયાદ અને જયેશનો ભૂતકાળનો રેકોર્ડ જોઈ ગાળિયો મજબુત કર્યો હતો…
જેના કારણે જયેશ પટેલને કેટલોય સમય જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. 100 કરોડની આ કીમતી જમીનના એ કેસમાં ફરિયાદી બિલ્ડર તરફે વકીલ કિરીટ જોશીએ ઉચ્ચ ન્યાયાલય સુધી લડતો આપી અને જયેશને કાયદાના દાયરામાં આવવા મજબુર કરી દીધો હતો.અને આ જ વાત જયેશ પટેલની આંખમાં કણાની જેમ ખૂંચતી હતી અને કિરીટ જોશીનું કાસળ કઢાવી નાખવા અલગ અલગ વ્યક્તિઓને જયેશ પટેલે વર્ષ 2018 માં સોપારી આપી હોવાનું જે તે સમયે જાહેર થયું હતું, આ સોપારીમાં મુખ્ય સોપારી જે કલકતામાંથી આરોપીઓ ઝડપાયા તેને આપવામાં આવી હોવાનું અને કિરીટજોશીની હત્યાને અંજામ આપ્યાનું પોલીસ સુત્રો જણાવે છે.
ઝડપાયેલ આ ત્રણેય હત્યારાઓને જયેશ દ્વારા આ સોપારી આપવામાં આવી હતી તે 3 કરોડમાં આપવામાં આવી હોવાનું જાણવા મળે છે, જેમાં સીસીટીવીમાં દેખાઈ રહેલા હાર્દિક પુજારાએ કિરીટ જોશી પર છરીના ઘા માર્યા હતા તો જયંત ગઢવી બાઈક લઈને ભાગવા માટે તૈયાર ઉભો હતો. અને હાર્દીકનો ભાઈ આ દરમિયાન વોચમાં રહેલ હતો.આમ આ રીતે વકીલ કિરીટ જોશીની તેની ટાઉનહોલ નજીક આવેલ ઓફીસ નીચે જ જે ભરચક વિસ્તાર માનવમાં આવે છે ત્યાં જ ઘાતકી હત્યા નીપજાવવામાં આવી હતી,
વકીલ કિરીટ જોશીની હત્યા બાદ આ મામલાએ રાજ્યભરમાં ભારે ચકચાર મચાવી દીધી હતી. અને પોલીસ ઠેર ઠેર દરોડા પાડી રહી હતી… પરંતુ આ ત્રણ આરોપીઓ સુધી જે તે સમયે પોલીસ પહોચી શકી નહોતી અને ત્રણેય ભાગતા ફરતા હતા અને જુદા જુદા સ્થળોએ આશરો લેતા હતા. ત્યારે બે દિવસ પૂર્વે જામનગર પોલીસે ચોક્કસ બાતમીને આધારે વકીલ કિરીટ જોશી હત્યા કેસના ત્રણ આરોપીઓ હાર્દિક ઠક્કર, દિલીપ ઠકકર, અને જયંત ગઢવીને દબોચી લેતા વકીલ કિરીટ જોશી કેસમાં મોટી સફળતા મળી છે. સાથે જ ઝડપાયેલા ત્રણેય શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં અત્યાર સુધી એટલે કે ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન તેવોએ ક્યાં ક્યાં આશરો લીધો કોણ કોન આર્થિક મદદ પૂરી પાડતા હતા તે તમામ વિગતો સામે આવવા લાગી છે.
આરોપીઓએ વકીલ કિરીટ જોશીની હત્યા કર્યા બાદ 3 વર્ષ સુધી જુદા જુદા રાજ્યો અને દેશોમાં છુપાઈને પોલીસથી બચતા રહ્યા હતા. જેમાં ભૂતાન, નેપાળ અને થાઈલેન્ડ સહિતના ચાર દેશનો સમાવેશ થાય છે, 28મી એપ્રિલ 2018 ના રોજ વકીલ કિરીટ જોશીની હત્યાને અંજામ આપી આરોપીઓ નાશી છૂટવામાં સફળ રહ્યા હતા. આરોપી હાર્દિકે વકીલ કિરીટ જોશી પર છરીઓ વડે આડેધડ ઘા ઝીંકી તેના ભાઈ દિલીપ અને જયંત ગઢવી સાથે એક જ બાઈક પર જામનગરથી ધ્રોલ ધ્રોલથી સામખીયાળી અને ત્યાંથી રાજસ્થાન જયપુર, લખનૌ થઇ નેપાળની સનોલી બોર્ડરથી નેપાળમાં કાઠમંડુ સહિતની જગ્યાઓ પર આશરો લેતા ફરતા હતા. ભૂતાનમાં પણ દોઢેક મહિનો રોકાયા બાદ ત્રણેય પરત ભારત આવી,
આસામના ગુવાહાટી, નાગાલેન્ડ, વેસ્ટ બંગાળના સીલીગુડી, કલકતા સહિતના સ્થળોએ રોકાયા હતા. ઝડપાયેલા ત્રણેય હત્યારાઓએ મુંબઇ પહોચી જ્યાં ડુપ્લીકેટ નામ ધારણ કરી તે ખોટા નામથી પાસપોર્ટ બનાવી જયેશ પટેલએ થાઇલેન્ડ પહોચાડવામાં મદદ કરી હતી. થાઇલેન્ડમાં થોડો સમય રહ્યા બાદ ઝડપાયેલા ત્રણેય સેનેગલ પહોચ્યા હતા. સેનેગલથી ભારત આવી કોલકતાના ચોક્કસ એરિયામાં છુપાયા હોવાની માહિતી જામનગર પોલીસ જે સતત આરોપીઓના સગડ મળે તેના પર નજર રાખી રહી હતી તેને મળી જવા પામી હતી. અને ચોક્કસ બાતમી મળતા જામનગર એલસીબી પીએસઆઈ ગોજીયા અને પીએસઆઈ ગરચર સહિતની ટીમ ત્યાં વેશધારણ કરીને પહોચી હતી અને ત્રણેય આરોપીઓને ઉપાડી લીધા હતા.
આમ ત્રણ-ત્રણ વર્ષ સુધી પોલીસને ચકમો આપી દેશ વિદેશમાં ફરતા રહેલા આરોપીઓને ઝડપી પાડવામાં જામનગર એસપી ભદ્રનના વડપણ હેઠળની ટીમને સફળતા હાંસલ થઇ છે.અને વકીલ કિરીટ જોશીના હત્યારાઓ કલકતાથી ઝડપાઈ ગયા બાદ હજુ જામનગર કોર્ટમાં તેને રજુ કરી તેના વધુ રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવશે અને તેમાં વધુ કેટલાક ચોકાવનારા ઘટસ્ફોટ થાય તો પણ નવાઈ નહિ.