Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ભૂમાફિયાઓએ માથું ઊંચક્યું છે, ત્યારે એસ.પી.દીપન ભદ્રનના જામનગરમાં પોસ્ટીંગ બાદ એલસીબી અને એસઓજી સહીતની પોલીસટીમોને ફરજીયાત સક્રિય થવાનો વારો આવ્યો છે, એવામાં થોડા સમય પૂર્વે જાબુંડાની 3 કરોડના જમીન કૌંભાડમાં એલસીબીએ વધુ બે ફરાર આરોપીને પકડી પાડયા છે. આ પ્રકરણમાં ધરપકડનો આંક ચાર પર પહોંચ્યો છે. બનાવટી દસ્તાવેજો બનાવી હથિયાર બતાવી આરોપીઓએ જમીન કૌંભાડ આચર્યું હતું. આ કેસની ખાસ તપાસ એસપી દ્વારા એલસીબીને સોંપવામાં આવી હતી.
જાંબુડા ગામે સર્વે નં. 244 પૈકીની રૂ.3 કરોડની જમીન બનાવટી દસ્તાવેજો બનાવી જમીન માલીકને તીક્ષણ હથિયાર બતાવી મારી નાખવાની ધમકી આપી જમીન કૌંભાડ આચરવામાં આવ્યું હતું. આ કૌંભાડમાં ફરાર આરોપી ભાવસંગ ભૂપતસંગ જાડેજા અને રણજીતસિંહ પોપટભા જાડેજાને તાજેતરમાં એલસીબીએ પકડી પાડયા હતાં. ત્યારે રવિવારે એલસીબીએ આ પ્રકરણમાં ફરાર અજય દેવાયતભાઇ બરાડીયા(રે. મોખાણા) અને અમૃત નાનજીભાઇ મારૂ(રે.જામનગર,પટેલકોલોની)ની ધરપકડ કરી હતી. આથી રૂ.3 કરોડના જમીન કૌંભાડમાં ધરપડકનો આંક ચાર પર પહોંચ્યો છે. પોલીસે બંને ફરાર આરોપીના કોરોના ટેસ્ટ કરાવી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.