Mysamachar.in-જામનગર:
મોટી બાણુંગારના એક યુવાને બે દિવસ પહેલા ગળાફાંસો ખાધા પછી આ યુવાનનું મૃત્યુ નિપજયું છે. મૃતકની લખેલી મનાતી સ્યુસાઈડ નોટ મળી છે. જામનગર તાલુકાના મોટી બાણુગાર ગામમાં રહેતા સાવન નરેશભાઈ પારિયા નામના યુવાને બે દિવસ પહેલા ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજયું છે. આ યુવાનની લખાયેલી મનાતી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેણે પોતાની માતાને ઉદ્દેશીને લખ્યુ છે કે, “મારી જીવવાની ઈચ્છા નથી. મને બે ઝાપટ મારવામાં આવી છે.” આ યુવાનના મૃત્યુ પછી જવાબદાર સામે પગલા ભરવાની માંગણી પણ પરિવારજનોએ કરી છે, જો કે આ અંગે પંચકોશી એ ડીવીઝન પોલીસે ગામના જ એક શખ્સ સામે આપઘાતના દુશ્પ્રેરણા આપી હોય તેની સામે ગુન્હો પણ નોંધ્યો છે.
આ અંગે પોલીસે ચોપડે જાહેર થયેલ વિગતો પર નજર કરવામાં આવે તો નરેશભાઈ કુંભાભાઈ પારીયા, જેવો જામનગર નજીક આવેલ મોટી બાણુગર ગામ આંબેડકર ચોકમાં રહે છે અને મજુરીકામ કરી ગુજરાન ચલાવે છે, તેમના દીકરા સાવન ઉ.વ.22 વાળાને સામાન્ય અકસ્માત બાબતે આ કામેના પ્રભુલાલ જુઠાભાઈ ભેંસદડિયાએ બે દિવસ પૂર્વે જાહેરમાં ગાલ ઉપર ઝાપટો મારી ઇજા કરી ભુંડી ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલી અપમાનીત કરતા મૃતક સાવનને મનમાં લાગી આવતા પોતે પોતાની જાતે ગળાફાસો ખાઇ લીધો હોય મૃત્યુ નીપજેલ હોય આમ સાવનને આપઘાતનુ દુષ્પ્રેરણ આપવા એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.