Mysamachar.in-જામનગર
છેલ્લા કેટલાક સમયથી રાજ્યના મેટ્રોસિટીમાં હનીટ્રેપની માયાજાળ સતત ને સતત ફેલાઈ રહી છે, જેમાં માલદાર પુરુષોને દેખાવડી મહિલાઓ પહેલા ફસાવે છે, કેટલાક કિસ્સાઓમાં શુટિંગ અને ફોટા પણ થાય છે, બાદમાં તેના જ ઉભા કરેલા ડમી પોલીસ પ્રગટ થાય અને તોડ કરવાનો સિલસિલો ચાલુ થાય છે, પરંતુ આવી ઘટનાઓથી થોડી અલગ એક છેડતીની ટ્રેપ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયામાં સામે આવી છે, જ્યાં કહેવાતા પત્રકાર અને બે મહિલાઓએ અલગ અલગ બે સમાજની વાડીઓમાં એક રસોઈકામ કરી ગુજરાન ચલાવતા આઘેડ પર ખેલ પાડી દેવાનો મામલો ખંભાળિયા પોલીસમથકમાં નોંધાયો છે,
જામનગર શહેરના રામેશ્વરનગરમાં વસવાટ કરતા અને રસોઈકામ કરતા રસોઈયા મનસુખલાલ છગનલાલ ચનુરા પાસેથી આરોપીઓએ નાણા પડાવવાના ઇરાદાથી એક સુવ્યવસ્થિત કાવતરૂ રચી બન્ને મહિલા આરોપીઓ હર્ષાબેન ડાયાભાઇ અને કારીબેન નગાભાઇ જે બંને પોરબંદરના રહેવાસી છે, તેને પોલીસ તથા અન્ય જાણીતાઓને લોહાણા જ્ઞાતિની તેમજ વાણંદ જ્ઞાતિની વાડીમાં આજથી એક વર્ષ પૂર્વે ફોન દ્વારા પોતાની છેડતી થયેલની ખોટી વાત કરી તેઓને બોલાવી અને પોલીસ તથા અન્ય લોકો જયારે વાણંદ જ્ઞાતિની વાડીના દરવાજે પહોંચેલ ત્યારે બન્ને મહિલા આરોપીઓએ ફરીયાદીના રૂમમા જઇ તેમની સાથે જબરજસ્તી કરી તેમના પેન્ટ નુ ચેઇન ખોલવાનુ તથા તેમના કપડા કાઢવાનુ કહી પોતાની છેડતીની તથા એટ્રોસીટીની ખોટી ફરીયાદ કરવાનુ કહી અને ફરીયાદ નહી કરવા માટે મહિલાઓ સાથે મળેલા અને કહેવાતા પત્રકાર પી.કે.પરમાર જે આંબેડકર દર્પણ નામનું સાપ્તાહિક ચલાવે છે,
આ મામલાને રફેદફે કરવા ફરીયાદીના દિકરા દર્શન પાસેથી રૂપીયા પાંચ લાખ બળજબરીથી કઢાવી લેવા માગણી કરી હતી,જે ફરીયાદીના દિકરા દર્શને પૈસા આપવાની ના પાડતા છેડતી તથા એટ્રોસીટી એકટ મુજબ ખોટો કેસ કરવાની ધમકી અંગે ખંભાલીયા પોલીસની તપાસ પૂર્ણ થતા પોરબંદરની બે મહિલાઓ સહીત કથિત પત્રકાર સામે ખંભાળિયા પોલીસમથકમાં કાવતરું રચવું, બળજબરીથી નાણા કઢાવવા ધાકધમકી, સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો છે.