Mysamachar.in-રાજકોટ:ભાવનગર
હાઈવે પર તેજ રફ્તાર ક્યારેક મોત બનીને આવે છે, વધુ એક અકસ્માતની ઘટના ભાવનગર-તળાજા હાઈવે પર બની છે જ્યાં ટ્રક અને સ્વીફ્ટ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યાં હોવાની માહિતી સામે આવી રહી છે, જ્યારે બે વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર-તળાજા નેશનલ હાઈવે પર ટ્રક અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે જેમાં સ્વીફ્ટ કાર ભાંગીને ભૂકો થઈ ગઈ હતી. તણસા ગામ નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ભાવેશ બારૈયા, પ્રવિણ પરમાર નામના બન્ને વ્યક્તીના ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા.જો કે, જ્યારે કારમાં સવાર અન્ય બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ દ્વારા બંને મૃતક યુવાનના મૃતદેહને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવને લઇને ઘોઘા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બનાવ અંગેની હકીકત મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.
જયારે બીજા અકસ્માતની વાત કરવામાં આવે તો જામકંડોરણાના તરેવડા ગામ પાસે એક ટ્રક અને મોટરકાર વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો અને ટક્કર એવી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં બે યુવાનના મોત થયા હતા જ્યારે એકને ગંભીર ઇજા થતાં સારવારમાં ખસેડાયો છે. જામનગરનો જેઠવા પરિવાર લગ્ન પ્રસંગે હાજરી આપવા જૂનાગઢ ગયો હતો અને ત્યાંથી પરત આવી રહ્યો હતો ત્યારે આ યુવાનોને કાળ આંબી જતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જામનગરનો વતની એવો જેઠવા પરિવાર કૌટુંબિક લગ્ન પ્રસંગે હાજરી આપવા જૂનાગઢ ગયો હતો અને પરત આવી રહ્યા હતા ત્યારે કોઇને ક્યાં ખબર હતી કે તેઓ ઘરે નહીં, ઇશ્વરના ઘરે પહોંચી જશે. જામકંડોરણાના તરેવડા પાસે આ યુવાનોની કારને ટ્રકના ચાલકે જોરદાર ઠોકર મારતાં કારમાં બેઠેલા જતીન જેઠવા અને અંકુર ભરડવાના ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે જ મોત થયા હતા, જયારે તેમની સાથે રહેલા જીજ્ઞેશ ભરડવાને ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે જામકંડોરણા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.