Mysamachar.in-અમદાવાદ:
આપણે ત્યાં કહેવત છે, ન્યાયમાં વિલંબ એ ન્યાય ન મળ્યા બરાબર છે. તેની સામે આપણે સૌ એ પણ જાણીએ છીએ કે, સરેરાશ કેસોમાં ન્યાય કેટલો વિલંબિત થાય છે ?! આ સ્થિતિનો અર્થ આપણે સૌ જાણીએ છીએ. અને, વિલંબથી સૌ પિડાય પણ છે. એક કેસની અત્રે વાત કરીએ, જે કેસ અદાલતમાં 45 વર્ષથી છે ! તેમાં કાલે સોમવારે શું બન્યું ?! જાણો….
આ કેસ આણંદ જિલ્લાનો છે. વડી અદાલતે કાલે સોમવારે આ કેસ સંબંધે આણંદ જિલ્લાની અદાલતનાં દસ અધિકારીઓને શો-કોઝ નોટિસ મોકલાવી. આ કેસ ડિસ્પોઝ કરવા અદાલતનો આદેશ હતો છતાં આ કેસનો જેજે અધિકારીઓએ નિકાલ ન કરી, અદાલતનાં આદેશની અવમાનના કરી તે તમામ દસ અધિકારીઓને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે.
આ કેસમાં બે પક્ષકાર છે. અંબાલાલ પટેલ અને મોતીભાઈ પટેલ. મામલો સિવિલ છે. આ કેસનો નિકાલ આવે એ પહેલા 16 જજ બદલી ગયા, જે પૈકી 6 જજ નિવૃત્ત થયા, 2 જજ અવસાન પામ્યા. હજુ આ કેસ, આદેશ છતાં નિકાલ ન થયો ! 1977 નાં આ કેસમાં વડી અદાલતે 2004 માં એક્સપ્રેસ ઓર્ડર આપ્યો હતો. આમ છતાં આણંદ કોર્ટે આ કેસનો નિકાલ ન કરતાં એક પક્ષકાર વડી અદાલતમાં ગયા. અને, મામલો ફરી ચર્ચામાં આવ્યો.
આ કેસ 31/01/2005 પહેલાં પૂર્ણ કરવાનો આદેશ છતાં કેસ આજની તારીખે પૂર્ણ થયો ન હોય, અદાલતે શો-કોઝ નોટિસ ફટકારી આ મામલાની સુનાવણી આગામી 15 જાન્યુઆરીએ રાખી છે. આ કેસને પગલે આણંદ અદાલતની રજિસ્ટ્રી શાખાની કામગીરી ચર્ચાનો વિષય બની છે.