Mysamachar.in-જામનગર:
રાજ્યમાં ભ્રષ્ટાચાર નાબુદ થાય તે માટે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી મહેસુલ અને ગૃહ સહિતના વિભાગોને ભ્રષ્ટાચાર મુદ્દે ક્રમો આપી અને રાજ્યમાં ભ્રષ્ટાચાર નાબુદ થાય તેના માટે ACB ને જાણ કરવા અપીલ પણ કરતાં હોય છે,વધુમાં ACB દ્વારા પણ લોકોમાં સરકારી બાબુઓને કોઈપણ કામ માટે લાંચ ના આપવી તેવી જાગૃતિ આવે તે માટે અનેકવિધ કાર્યક્રમો,હોર્ડીંગ્ઝ,અને વિવિધ પ્રચાર-પ્રસાર કરવામાં આવતા હોય છે,પણ વાત જ્યાં સુધી જામનગર ને લાગેવળગે ત્યાં સુધી ખાટલે મોટી ખોટ હોવાને કારણે ગાડું માંડ ગબડે તેવી સ્થિતિ ACB ની છે,
જામનગરમાં સૌપ્રથમ વખત રાજ્યના ACB ના ડાયરેક્ટરનો લોકદરબાર ગત તા. ૭ એપ્રિલ ૨૦૧૮ ના યોજાયા બાદ એક માહોલ બન્યો હતો,પરંતુ તે ઉભરો સાબિત થયો છે,અને સમગ્ર હાલારમા ભ્રષ્ટાચારનો ભોરિંગ વધુ ફુંફાડા મારવા લાગ્યો હોવાનુ સરકારી વિભાગોના પનારે પડતા લોકો પીડા સાથે પોકારે છે,તેમાંથી અનેક કેસ તો જગજાહેર પણ છે,
જામનગરમાં ACB ના લોક દરબારમાં જાબાંઝ. આઇ.પી.એસ.ઓફીસર હસમુખ પટેલ છવાઇ ગયા હતા.જાગૃત નાગરીકો દ્વારા અનેક ફરિયાદો રજુઆતો અને અમુક ચોંકાવનારી બાબતો રજુ કરી હતી,જેને ગંભીરતાથી લઇ હસમુખ પટેલે તાકીદે પગલા લેવા સુચના આપી હતી.ખાસ કરીને ફરિયાદીને ખાખીના ત્રાસના કિસ્સામાં તાકિદે પગલા લેવા સુચના અપાઇ હતી,જેને લઈને હાલારમાં ભ્રષ્ટાચારીઓમાં થોડો સમય ફફડાટ પણ ફેલાયો હતો,
કેમકે જાગૃત લોકોએ આ લોકદરબારમાં ભાગ લઇ હસમુખ પટેલ સમક્ષ થોકબંધ રજુઆતો કરી હતી.ત્યારે પ્રશ્ન એ થાય છે કે સીટી સર્વેના ચકચારી અધિકારી ઉલટા વધુ ચાર્જ ભોગવે છે,ચંગુ મંગુની જોડી ઉપર આખો વિભાગ કાર્યરત છે,તો પી.ડબલ્યુ.ડીના બહુચર્ચિત બે જેઓ પુલ અને રોડના કામના ઓડીટ કરતા જેની સામે ભ્રષ્ટાચારની અરજીઓ થયેલી તેઓ નિવૃત થઇ ગયા પેન્શન પણ મળવા લાગ્યુ છતાય તપાસ પુરી ન થઇ,
પોલીસ વિભાગના જાહેર અને વણ જાહેર તમામ તે ઉપરાંત રેવન્યુ,પુરવઠા,RTO,કોર્પોરેશન,PGVCL,સિંચાઇ,પંચાયત,ખાણખનીજના ૧૬ કેસો તપાસ હેઠળ હોવાનું જાણવા મળે છે,તે તમામ ભ્રષ્ટાચારના ઉચાપતના લોકો પાસેથી અનઅધીકૃત નાણા માંગવા કે લેવાના સનસનીખેજ હોવા છતા તપાસો ધીમી ચાલે છે,જેના અનેક કારણો પણ હોવાનું એસીબીના સુત્રો કહે છે,
આ તકલીફ કોને કહેવા જાવી….
ACB ના આધારભૂત સુત્રો જણાવે છે કે સાચી વાત છે કે આટલી તપાસો પેન્ડીંગ છે,તેના માટેના કારણો પર નજર કરવામાં આવે તો ACB સીધી જ કોઈ કેસમા હાથ નાખવાને બદલે પહેલા સાયન્ટીફીક પુરાવાઓ એકત્ર કરવામાં વધુ માને છે,જેથી કરીને લાંચિયાઓ છટકી ના શકે,અને તે પુરાવાઓના સર્ટીફીકેટ મેળવવામાં જામનગર સહીત જે-તે સ્થાનિક ACB કચેરીઓમાં લાંબો સમય લાગી જતો હોવાનું ACB ના જ સુત્રો કહે છે,ઉપરાંત વર્ષો જુના મહેકમના આધારે ચાલતી એન્ટી કરપ્શન બ્યુરો પાસે માંડ ૫૦% જેટલો સ્ટાફ છે,તેમાં અલગ અલગ જિલ્લાઓની તપાસો પણ આવતી હોય તો સ્થાનિક તપાસોમાં પણ કેમ ધ્યાન આપવું તે પણ સાચો મુદ્દો હોય તેમ લાગી રહ્યું છે.ત્યારે ACB માટે ખાસ FSLની પણ વિચારણા ઉપર ચાલી રહી હોવાનું જાણવા મળે છે.