Mysamachar.in-જામનગર:
જામનગર નજીક હાપા લાલવાડી વિસ્તારમાં આજે એક પરિવાર દ્વારા બાળ લગ્ન કરાવાઇ રહ્યા હતા.જે દરમિયાન મહિલા હેલ્પલાઇનની ટીમ પહોંચી ગઈ હતી, અને જામનગરની સમાજ સુરક્ષા કચેરીની ટીમને પણ સ્થળ પર બોલાવી લીધા પછી બન્ને પરિવારોને સમજ આપીને બાળ લગ્ન અટકાવ્યા હતા, જ્યારે માત્ર 14 વર્ષની સગીરાને વિકાસ ગૃહમાં મોકલી આપી હતી. 12 દિવસ પહેલાં પણ જામજોધપુર પંથકમાં બાળ સુરક્ષા વિભાગની ટીમ દ્વારા 16 વર્ષની એક તરુણીના બાળ લગ્ન અટકાવાયા હતા, અને બંને પરિવારોને સમજ આપીને બાળ લગ્ન અટકાવી સમાજમા બાળલગ્ન અંગે જાગૃતિ માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
જામનગર પંથકમાં સગીરવયના બાળકોને લગ્ન કરાવતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જામનગરના હાપા નજીક લાલવાડી વિસ્તારમાં આજે બપોરે એક 14 વર્ષની સગીરાના તેમજ 22 વર્ષના યુવકના બાળ લગ્ન થતા અટકાવ્યા હતા, અને કન્યાના પરિવારજનોને કન્યા પુખ્ત વયની થયા બાદ જ તેણીના લગ્ન કરાવવા માટે સમજણ આપી હતી. સૌપ્રથમ 181 અભયમ્ ટીમને બાળ લગ્નની જાણકારી મળી હતી, અને ઘટના સ્થળે પહોંચી જઈ અને વાલીનો સંપર્ક કર્યો હતો.
ત્યારબાદ અભિયમની ટિમ દ્વારા તુંરજ 1098 ચાઈલ્ડ લાઇનની ટીમને જાણ કરીને થઈ રહેલા બાળ લગ્નની માહિતી આપી હતી.
જેથી સમાજ સુરક્ષા વિભાગની ટીમના સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થનાબેન શેરશીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જ્યોત્સનાબેન હરણ, તેમજ સમાજ સુરક્ષા કચેરીના એમ. આર. પટેલ વગેરે સ્થળ પર દોડી ગયા હતા, અને 22 વર્ષના યુવક તેમજ 14 વર્ષની સગીરાના લગ્ન અટકાવ્યા હતા, અને તેઓને સગીરા પુખ્ત વયની થાય ત્યારે જ લગ્ન કરવા માટેની સમજ આપી હતી.એટલું જ માત્ર નહીં, બંને પરિવારો સાથે મંત્રણા કરીને સમજ આપ્યા પછી હાલ કન્યા કે જે સગીર વયની હતી, તેને વિકાસ ગૃહમાં મોકલી આપી છે, અને જ્યારે પુખ્ત વયની થશે ત્યારે જ તેણીના લગ્ન કરવા માટેની પરિવારજનોએ પણ સહમતી દર્શાવી હતી.
જેથી સમાજ સુરક્ષા કામગીરીને લઇને બાળ લગ્ન અટકાવ્યા હતા.આ અગાઉ તા. 11.5.2022 ના દિવસે જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં 16 વર્ષની કન્યાના બાળ લગ્ન થઈ રહ્યા હોવાની 181 અભયમ્ ટીમને જાણકારી મળતા અભ્યમ્ ટીમ સ્થળ પર પહોંચી હતી, ત્યાર પછી જામનગરની સમાજ સુરક્ષા વિભાગની કચેરીને જાણ કરાતાં સમાજ સુરક્ષા વિભાગની ટીમ પાટણ ગામે પહોંચી ગઈ હતી, અને 16 વર્ષની સગીરાના થનારા બાળ લગ્ન અટકાવ્યા હતા, અને બન્ને પરિવાર ને કાયદાકીય જાણકારી આપીને સગીરા જ્યારે પુખ્ત વયની થાય ત્યારેજ તેણીના લગ્ન કરાવવા માટે પરિવારજનો ને સમજ આપી હતી, અને તેઓ પાસેથી બાંહેધરી મેળવી લીધી હતી. બંને ઘટના સ્થળે 18 વર્ષથી નીચેની સગીરાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ બાબતની જાણ સમાજ સુરક્ષા વિભાગને થતાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા તેમના પરિવારને સમજાવવામાં આવ્યા હતા અને બાદમાં સગીરાના માતાપિતા માની ગયા હતા. તેમજ આ લગ્ન કરવાનું મોકૂફ રાખ્યું હતું.
-બાળ લગ્ન કરવા કે કરાવવા એ કાયદાની વિરુદ્ધ
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ જોઇએ તો સગીર વયના યુવક-યુવતીઓના લગ્ન કરવા કે કરાવવા તે કાયદાકીય ગુનો બને છે. આવા લગ્ન કરનાર યુવક-યુવતી સહિત તેમના માતાપિતા કે, વાલી, મદદગારી કરનાર અન્ય વ્યક્તિ, બાળલગ્નમાં હાજરી આપનાર, વિધિમાં ભાગ લેનાર, લગ્નનું સંચાલન કરનાર, લગ્ન કરાવનાર ગોર મહારાજ-બ્રાહ્મણ, મંડપ-કેટરીંગ-બેન્ડવાજા તથા ફોટોગ્રાફીનું કામ રાખનાર વિગેરે તમામને, આ કાયદાકીય જોગવાઇ હેઠળ અપરાધી ગણવામાં આવ્યા છે. જેમને નિયમોનુસાર ૦૨ વર્ષ સુધીની સખત કેદની સજા સાથે રૂપિયા 1 લાખ સુધીના દંડની પણ જોગવાઇ કરવામાં આવી છે.
-બાળ લગ્ન થતા અટકાવવા શું કરવું?
સમાજમાં જાગૃત નાગરિક તરીકે આપના વિસ્તાર કે આપના સમાજમાં જો કોઈ પણ જગ્યાએ બાળ લગ્ન થવાના છે, અથવા થાય છે, તેવી આપને જાણ મળે તો તે બાબતે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી (0288-2570306), જીલ્લા બાળ સુરક્ષા અધિકારી ની કચેરી (0288-2571098), ચાઈલ્ડ હેલ્પ લાઈન (1098) પર આપ લેખિત ટેલીફોનીક જાણ કરી શકો છો. જેથી સમાજમાં બાળ લગ્ન નાબુદ કરવા માટે સહીયારો પ્રયાસ અને કામગીરી થઇ શકે.