Mysamachar.in-સુરતઃ
સુરતના કોસમાડા ગામમાં ધોરણ 7માં ભણતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ લેતા ચકચાર મચી છે. એટલું નહીં વિદ્યાર્થિનીએ આપઘાત પહેલા સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેણીએ લખ્યું કે સ્કૂલમાં ટીચર મારશે તેવા ભયને કારણે તે આપઘાત કરી રહી છે, સમગ્ર ઘટનાથી પંથકમાં ચકચાર મચી છે, જ્યારે વિદ્યાર્થિનીના માતા-પિતા તથા પરિવારમાં આક્રંદ છવાયો હતો. મૃતક 13 વર્ષિય વિદ્યાર્થિનીનું નામ સુહાની છે તેના પરિવારમાં માતા-પિતા અને એક બહેન છે, જે ગામની જ પ્રાથમિક શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતી હતી. સોમવારે સુહાનીએ પેટમાં દુઃખતું હોવાથી શાળામાં રજા રાખી હતી. બીજા દિવસે ટીચર માર મારશે તેવા ભયને કારણે સુહાનીએ ગળેફાંસો ખાઇ લીધો, સુહાની પાસેથી પોલીસને સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં તેણીએ આપઘાત કેમ કર્યો તે અંગે લખ્યું છે.
શું લખ્યું છે સુસાઇડ નોટમાં ?
સુસાઇડ નોટ શબ્દશઃ – 'મમ્મી-પપ્પા સોરી, બધા મને નિશાળમાં બીવરાવીયા કરતે હૈ, ને બધા કેટા કે તને તીચર મારવાના હૈ, એટલે પપ્પા મેં નથી જીવવાની. પપ્પા તમારી એક પોરી રાધલી, રિધલીને કોઇ મારતુ ની. મારા સપના પુરા કરજો'. તો આપઘાત બાદ સુહાનીના પરિવારજનોનું કહેવું છે કે સુહાની ભણવામાં હોશીયાર હતી. સોમવારે પેટમાં દુઃખાવા કારણે રજા પાડી હતી. બીજા દિવસે શાળાએથી ઘરે આવી આવું પગલું ભરી લીધું હતું. શાળામાં ખૂબ જ સારી રીતે ભણાવવામાં આવે છે. જોકે, તેની સાથે ભણતા વિદ્યાર્થીઓએ ડરાવતા આવું આકરું પગલું ભર્યું હોવાનો અંદાજ છે.