Mysamachar.in-આણંદ:
આજે વહેલી સવારે રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, આ દુઃખદ ઘટના આણંદના તારાપુર હાઈવે પર ઇન્દ્રળજ નજીક બની છે, જેમાં સુરતથી ભાવનગર જઈ રહેલા પરિવારની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાઈ જતા દસ લોકોના મોત થયાનું જાણવા મળી રહ્યું છે, પ્રાથમિક માહિતી અનુસાર, સવારે 6 થી 6.30 ની વચ્ચે આ અકસ્માત બન્યો હતો. GJ 10 VT 0409 નંબરની ઇકો ગાડીને અકસ્માત નડ્યો હતો. ભાવનગરનો પરિવાર સુરતથી ભાવનગર ઈકો કારમાં સવાર થઈને જઈ રહ્યો હતો. ઈકો કારમાં એક જ પરિવારના 10 સભ્યો હતા.
તારાપુરથી 15 કિલોમીટર બગોદરા પાસે ટ્રક સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. ઈકો કાર ભાવનગર તરફ જતી હતી અને ટ્રક બગોદરા તરફ આવતો હતો. આ દરમિયાન અકસ્માત સર્જાતા કારમાં સવાર તમામ 10 લોકોના મોત નિપજ્યા છે. જોકે, હાલ આ પરિવાર કોણ છે તેની માહિતી મળી નથી. ઘટના બાદ અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે તારાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મૃતકોને તારાપુર રેફરર હોસ્પિટલ ખાતે ખસેડી અને વિશેષ તપાસ હાથ ધરી છે.